યુરોપના દેશો તેમનું સોનું શા માટે અમેરિકાથી અન્ય સ્થળે ખસેડી રહ્યા છે?
નેધરલૅન્ડ્સની કેન્દ્રીય બૅન્કે આ જ અઠવાડિયે કહ્યું હતું કે તેણે દેશનું સેંકડો ટન સોનું ઉત્તર અમેરિકાની બહાર ખસેડ્યું છે.
નેધરલૅન્ડ્સનું કહેવું છે કે આ સોનું ખસેડવાને કારણે તે ગંભીર સંકટોની સ્થિતિ માટે વધુ સારી રીતે તૈયાર રહી શકશે.
અમેરિકા અને કૅનેડામાં રાખવામાં આવેલા કુલ લગભગ 313 ટન સોનામાંથી લગભગ 86 ટન સોનાને વધતી જીયૉપોલિટિકલ અસ્થિરતાને ધ્યાનમાં રાખીને લંડન ખસેડવામાં આવ્યું છે. બૅન્કે જણાવ્યું હતું કે તેનાથી આ કિંમતી ધાતુ કોઈ સંકટની સ્થિતિમાં ઉપયોગ માટે વધુ સરળતાથી ઉપલબ્ધ રહેશે.
આ પછી પ્રશ્ન ઊભો થવો સ્વાભાવિક હતો. ડચ લોકો આવું શા માટે કરી રહ્યા છે? શું તેમને આવનારા સમયમાં કોઈ મોટા આર્થિક આંચકાની આશંકા છે?
આ પગલું સ્પષ્ટ રીતે દુનિયાની વર્તમાન અસ્થિર અને અનિશ્ચિત પરિસ્થિતિના જવાબમાં લેવામાં આવ્યું છે. વેપાર અને સૈન્ય અથડામણોની વચ્ચે દેશો સાવચેતીભર્યા પગલાં લઈ રહ્યાં છે અને પોતાના સોનાને દેશની વધુ નજીક રાખવા માંગે છે.
આ વર્ષની શરૂઆતમાં ફ્રાન્સે પણ જાહેરાત કરી હતી કે તેણે અમેરિકામાં રાખેલા પોતાના સોનાના ભંડારને પાછા મંગાવી લીધા છે. બીજી તરફ, જર્મનીના બુન્ડેસ બૅન્કે વિદેશોમાં રાખેલા 216 ટનથી વધુ સોનાને ખસેડ્યું હતું. તેમાં ન્યૂ યૉર્કમાંથી 111 ટન અને પેરિસમાંથી 105 ટન સોનાનો સમાવેશ થતો હતો. આ પ્રક્રિયા 2016માં પૂર્ણ થયેલાં કેટલાંક વર્ષોના સમયગાળા દરમિયાન પૂરી કરવામાં આવી હતી.
વૈશ્વિક અસ્થિરતાના સમયગાળામાં અગાઉ પણ આવી વ્યૂહરચના અપનાવવામાં આવી ચૂકી છે. ગોલ્ડમૅન સૅક્સના સંશોધન વિશ્લેષકો લીના થૉમસ અને ડૅન સ્ટ્રુવનએ કહ્યું, "કોલ્ડ વૉરના સમયગાળા દરમિયાન યુરોપની કેટલીક કેન્દ્રીય બૅન્કોએ પોતાના સોનાના ભંડારનો એક ભાગ ન્યૂ યૉર્કમાં ખસેડ્યો હતો."
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના વરિષ્ઠ બજાર વ્યૂહરચનાકાર જૉસેફ કાવાટોનીએ બીબીસીને જણાવ્યું હતું કે યુદ્ધ અને વેપારી તણાવ "આમાંથી કેટલાક નિર્ણયોને પ્રભાવિત કરી રહ્યા હતા", પરંતુ આ નિર્ણયો લેવા પાછળના કારણોની યાદીમાં તેઓ સૌથી ઉપર નહોતા.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



