અમેરિકાએ ઈરાનને મોકલ્યો સમજૂતી માટેનો પ્રસ્તાવ, હોર્મુઝ ખોલવા વિશે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

અમેરિકાએ ઈરાનને મોકલ્યો સમજૂતી માટેનો પ્રસ્તાવ, હોર્મુઝ ખોલવા વિશે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

ઈરાનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે ઈરાનને 'અમેરિકા સાથે સમજૂતી મામલે શરૂઆતનો અને અનૌપચારિક ડ્રાફ્ટ' મળ્યો છે.

બીબીસી પર્શિયને રિપોર્ટ્સના હવાલે કહ્યું છે, "પ્રસ્તાવ પ્રમાણે ઈરાન એક મહિનાની અંદર હોર્મુઝ સ્ટ્રેટમાં કૉમર્શિયલ જહાજોની અવરજવરની સ્થિતિને યુદ્ધ પહેલાંની સ્થિતિમાં બહાલ કરશે. તેના બદલામાં અમેરિકા ઈરાનની નાકાબંધી સમાપ્ત કરશે અને ઈરાનની આસપાસ તહેનાત પોતાના સૈન્યને હઠાવશે."

રિપોર્ટ્સમાં કહેવાયું છે કે જહાજોના માર્ગ પ્રબંધનને લઈને ઈરાન તથા ઓમાન વચ્ચે તાલમેલ સ્થાપિત કરવામાં આવશે.

ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સચિવાલયમાં વિદેશ નીતિ તથા આંતરરાષ્ટ્રીય સુરક્ષા મામલાના ઉપનિદેશક અલી બગેરી કાનીએ પણ પુષ્ટિ કરી છે કે ઈરાન અને ઓમાન મળીને હોર્મુઝ સ્ટ્રેટથી જહાજોના પસાર થવાની નવી પ્રક્રિયા પર વાતચીત કરી રહ્યાં છે.

તેમના મત પ્રમાણે, "યુદ્ધ શરૂ થવાની પહેલાની તુલનામાં હોર્મુઝ પસાર થવાની શરતો અને પ્રક્રિયાઓ પૂર્ણ પ્રકારે અલગ રહેશે."

કાનીએ એમ પણ કહ્યું, "જ્યાં સુધી તમામ મુદ્દાઓ પર સહમતિ નથી બનતી, ત્યાં સુધી અમે માનીએ છીએ કે કોઈ પણ મુદ્દે સહમતિ નથી બની."

વલસાડ : ઉમરગામમાં ત્રણ બાળકોની હત્યા કરીને માતાએ ઝેર પીધું

વલસાડ : ઉમરગામમાં ત્રણ બાળકોની હત્યા કરીને માતાએ ઝેર પીધું – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, APURVA PAREKH

વલસાડ જિલ્લાના ઉમરગામમાં એક માતાએ ત્રણ બાળકોને મોતને ઘાટ ઉતારીને પોતે ઝેર પી લીધું હોવાની ઘટના પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

વલસાડ ખાતેના બીબીસી ગુજરાતી ન્યૂઝના સહયોગી અપૂર્વ પારેખના જણાવ્યા પ્રમાણે ત્રણ બાળકોનાં માતાએ તેનાં ત્રણેય બાળકોને મારીને ઝેર પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના પોલીસ સ્ટેશને નોંધાઈ છે.

હાલ માતાને હૉસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવાયાં છે. ઉમરગામ પોલીસ આ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઘરકંકાસને કારણે માતાએ તેનાં ત્રણેય પુત્રોને મારીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

આસારામને રાજસ્થાન હાઇકોર્ટે ગૅંગરેપ અને બાળકના યૌન ઉત્પીડન મામલે નિર્દોષ ઠેરવ્યા

આસારામને રાજસ્થાન હાઇકોર્ટે ગૅંગરેપ અને બાળકના યૌન ઉત્પીડન મામલે નિર્દોષ ઠેરવ્યા – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

દુષ્કર્મ મામલે આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને બુધવારે રાજસ્થાન હાઇકોર્ટે આંશિક રાહત આપી છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, કોર્ટે આઈસીપી અને પૉસ્કો કાયદા અંતર્ગત ગૅંગરેપ અને બાળક સાથે સામૂહિક યૌન ઉત્પીડનના આરોપોમાંથી તેમને મુક્ત કરી દીધા છે.

જોકે, સગીરા સાથે રેપના મામલે તેમની સજા યથાવત્ રાખવામાં આવી છે. જેમાં તેમની આજીવન કેદની સજા ચાલુ રહેશે.

પીટીઆઈ અનુસાર, જસ્ટિસ અરુણ મોંગા અને જસ્ટિસ યોગેન્દ્રકુમાર પુરોહિતની ડિવિઝન બેન્ચે આસારામને આઈપીસીની કલમ 376(ડી) તથા પૉસ્કો ઍક્ટની કલમ 5(જી)/6ના આરોપોથી મુક્ત કર્યા.

કોર્ટે આપરાધિક ષડયંત્ર સાથે જોડાયેલી આઈપીસીની કલમ 120(બી) અંતર્ગત પણ તેમને દોષમુક્ત કરી દીધા.

હાલ તેઓ અસ્થાયી જામીન પર બહાર છે. સોમવારે તેમના આગોતરા જામીન વધારવામાં આવ્યા હતા.

કોણ છે આસારામ?

એપ્રિલ, 1942માં હાલ પાકિસ્તાનના સિંધ વિસ્તારના બેરાની ગામમાં પેદા થયેલા આસારામનું અસલી નામ અસુમલ હરપલાની છે.

સિંધી વ્યાપારી સમુદાય સાથે સંબંધ ધરાવતા આસારામનો પરિવાર 1947માં વિભાજન બાદ ભારતના અમદાવાદ શહેરમાં વસી ગયો.

સાઠના દાયકામાં તેમણે લીલાશાહને પોતાના આધ્યાત્મિક ગુરુ બનાવ્યા અને બાદમાં લીલાશાહે અસુમલનું નામ આસારામ રાખ્યું.

1972માં આસારામે અમદાવાદથી લગભગ 10 કિલોમીટર દૂર મોટેરા પાસે સાબરમતી નદી કિનારે પહેલો આશ્રમ બનાવ્યો હતો.

અહીંથી શરૂ થયેલો આસારામનો આધ્યાત્મિક પ્રોજેક્ટ ધીરે-ધીરે ગુજરાતનાં અન્ય શહેરોથી થઈને દેશનાં અલગ-અલગ રાજ્યોમાં ફેલાઈ ગયો.

લેબેનોનનો દાવો- ઇઝરાયલના તાજેતરના હુમલામાં બાળકો સહિત 31 લોકોનાં મોત

ઇઝરાયલ, લેબનોન, હુમલો, બીબીસી

ઇમેજ સ્રોત, Abbas Fakih / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેણે 100થી વધુ હિઝબુલ્લાહનાં ઠેકાણાઓને નિશાન બનાવ્યાં છે

દક્ષિણ અને પૂર્વ લેબેનોનમાં ઇઝરાયલના હુમલામાં 30થી વધારે લોકોનાં મોત થયાં છે.

ઇઝરાયેલના વડા પ્રધાન નેતન્યાહૂએ હિઝબુલ્લાહ વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી તીવ્ર કરવાના ઍલાન પછી આ હુમલો કર્યો હતો.

લેબેનોનના આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે તાજેતરના હુમલામાં ઘણાં બાળકો સહિત ઓછામાં ઓછા 31 લોકો માર્યા ગયાં છે.

ઇઝરાયલી સેનાએ કહ્યું કે તેણે 100થી વધુ હિઝબુલ્લાહનાં ઠેકાણાઓ અને લડવૈયાઓને નિશાન બનાવ્યાં હતાં.

આ આગાઉ સોમવારે નેતન્યાહૂએ કહ્યું હતું કે તેમણે હિઝબુલ્લાહને નિશાન બનાવવા માટે "હજુ વધુ દબાણ લાવવાનો" આદેશ આપ્યો છે.

મંગળવારે સુરક્ષા કૅબિનેટની બેઠકમાં તેમણે કહ્યું કે ઇઝરાયલ લેબેનોનમાં તેના અભિયાનને વધુ તીવ્ર બનાવી રહ્યું છે.

તેમણે કહ્યું, "આઇડીએફ (ઇઝરાયલ ડિફેન્સ ફોર્સ) જમીન પર ખૂબ જ તાકાત સાથે કામ કરી રહ્યું છે અને મહત્ત્વપૂર્ણ સ્થળો પર કબજો કરી રહ્યું છે. ઉત્તરી ઇઝરાયલની વસાહતોને હિઝબુલ્લાહના હુમલાઓથી બચાવવા માટે સુરક્ષા ક્ષેત્રને મજબૂત બનાવવામાં આવી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાએ ઇઝરાયલ અને લેબેનોન વચ્ચે યુદ્ધવિરામની મધ્યસ્થી કરી હતી, પરંતુ બંને પક્ષોએ તેને ઘણી વખત તોડી નાખ્યું છે.

IPL 2026: RCB ફાઇનલમાં પહોંચ્યા પછી વિજય માલ્યાએ શું કહ્યું?

વિજય માલ્યા, આઈપીએલ, આરસીબી, બીબીસી

ઇમેજ સ્રોત, Jack Taylor/Getty Images

ઇમેજ કૅપ્શન, આરસીબીના પૂર્વ માલિક વિજય માલ્યાએ ટીમને ફાઇનલમાં પહોંચવા બદલ અભિનંદન આપ્યાં (ફાઇલ ફોટો)

રૉયલ ચૅલેન્જર્સ બૅંગ્લુરુએ IPL 2026ના ક્વૉલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. આ જીત પર બૅંગ્લુરુ ટીમના પૂર્વ માલિક વિજય માલ્યાએ પ્રતિક્રિયા આપી છે.

વિજય માલ્યાએ મંગળવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કર્યું , "આજે રાત્રે ધર્મશાળામાં તમારી શાનદાર જીત બદલ આરસીબીને ખૂબ ખૂબ અભિનંદન. તમે બૅંગ્લુરુ ટીમના સિંહો જેવી ગર્જના કરી અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે આઈપીએલ ફાઇનલમાં પહોંચ્યા."

મૅચ પહેલાં જ વિજય માલ્યાએ ટીમને પ્રોત્સાહન આપતી પોસ્ટ કરી હતી. તેમાં તેમણે લખ્યું હતું કે, "બેસ્ટ ઑફ લક આરસીબી. અમારા લાયન્સ ઑફ બૅંગ્લુરુ માટે સીધા ફાઇનલમાં જવાની આ એક શ્રેષ્ઠ તક છે. નિડરતાથી રમો અને જોરથી ગર્જો. ભગવાન તમારું ભલું કરશે."

મંગળવારે ધર્મશાળામાં રમાયેલી મૅચમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન આરસીબીએ ગુજરાત ટાઇટન્સને 255 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

ગુજરાત 19.3 ઓવરમાં 162 રનમાં જ ઑલઆઉટ થઈ ગયું. આમ આરસીબી 92 રનથી જીતી ગયું અને આઈપીએલ ફાઇનલ માટે ક્વૉલિફાય થયું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન