જૉન્સન ઍન્ડ જૉન્સન સાડા પાંચ અરબ ડૉલરનું વળતર આપશે, શું છે કારણ? - ન્યૂઝ અપડેટ

જૉન્સન એન્ડ જૉન્સન સાડા પાંચ અરબ ડૉલરનું વળતર આપશે

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

પ્રખ્યાત ફાર્માસ્યુટિકલ કંપની જૉન્સન ઍન્ડ જૉન્સન કંપનીના બેબી પાવડર અને ટેલ્કમ ઉત્પાદનો ઑવરી (અંડાશય)ના કૅન્સરનું કારણ બને છે તેવા આરોપ સાથે હજારો મુકદ્દમાનો ઉકેલ લાવવા માટે સાડા પાંચ અરબ ડૉલર આપવા સુધીની જાહેરાત કરી છે.

આ દરખાસ્ત વર્ષોથી ચાલી રહેલા અને ન્યૂ જર્સીસ્થિત હેલ્થ કેર કંપની પર સતત દબાણ કરી રહેલા મોટા કાનૂની વિવાદનો અંત લાવવાનો પ્રયાસ છે.

જોકે, જૉન્સન ઍન્ડ જૉન્સન સતત આ આરોપોને નકારતી આવી છે. કંપનીનો દાવો છે કે તેનાં ટેલ્કમ ઉત્પાદનો કૅન્સરનું કારણ નથી. તેણે તેના લોકપ્રિય બેબી પાવડરની ફૉર્મ્યૂલામાં પણ સુધારો કર્યો છે.

કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ ઑફ લિટિગેશન એરિક હાસે સોમવારે જણાવ્યું હતું કે આરોપો "પાયાવિહોણા" છે.

તેમણે કહ્યું કે કંપની ફક્ત આ લાંબા વિવાદનો કાયમ માટે અંત લાવવાના ઉદ્દેશ્યથી સમાધાન કરવા તૈયાર છે.

કૉમનવેલ્થ ગેમ્સ : શર્મિલા ધનખડે પૅરા ઍથ્લેટિક્સમાં ઇતિહાસ રચ્યો, ભારતના નામે પ્રથમ ગોલ્ડ મેડલ

શર્મિલા ધનખડે કૉમનવેલ્થ ગેમ્સમાં પૅરા ઍથ્લેટિક્સમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે.

ઇમેજ સ્રોત, Paul Harding/Getty Images

ઇમેજ કૅપ્શન, શર્મિલા ધનખડે કૉમનવેલ્થ ગેમ્સમાં પૅરા ઍથ્લેટિક્સમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે.

શર્મિલા ધનખડે કૉમનવેલ્થ ગેમ્સમાં પૅરા ઍથ્લેટિક્સમાં ભારત માટે પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો છે.

તો લૉંગ જમ્પમાં સર્વેશ કુશારે, વલ્લુરી અજય બાબુ અને જ્ઞાનેશ્વરી યાદવે એક-એક સિલ્વર મેડલ જીતે ભારતના પદકોની સંખ્યામાં વધારો કર્યો છે.

શર્મિલાએ મહિલાના એફ-57 વર્ગમાં ગોળાફેંક સ્પર્ધામાં 9.81 મીટર સેશનમાં મેડલ જીત્યો છે.

સોમવારે મોડી રાતે મળેલી આ જીત સાથે તેઓ કૉમનવેલ્થ રમતોમાં પૅરા ઍથ્લેટિક્સમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા બની ગયાં છે.

આ સાથે ભારતનો 20 વર્ષનો ઇંતજાર પણ પૂરો થઈ ગયો છે.

અગાઉ આ સ્પર્ધામાં ભારતે છેલ્લે 2006માં કૉમનવેલ્થ ગેમ્સમાં ચંદ્રક મેળવ્યો હતો.

સૌરવ દાસે કહ્યું - 'બિહાર અને આસામ સરકારે પ્રદર્શનકારીઓ સામેની એફઆઇઆર પાછી ખેંચવાની ગૅરંટી આપી'

બિહાર અને આસામ સરકારે પ્રદર્શનકારીઓ સામેની એફઆઈઆર પાછી ખેંચવાની ગેરંટી આપી

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કૉક્રોચ જનતા પાર્ટીના પ્રવક્તા સૌરવ દાસે કહ્યું છે કે બિહાર અને આસામ સરકારે પ્રદર્શનકારીઓ સામે નોંધાયેલી તમામ એફઆઇઆર પાછી ખેંચવાની ખાતરી આપી છે.

સૌરવ દાસે 27 જુલાઈના રોજ મોડી રાત્રે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે પાર્ટીની પ્રેસ કૉન્ફરન્સ પછી સરકારી પ્રતિનિધિઓ તેમને અને તેમના સાથીદારોને મળ્યા હતા.

સૌરવ દાસે કહ્યું, "સરકારી પ્રતિનિધિઓ સાથેની બેઠક બેથી ત્રણ કલાક ચાલી. તેમણે બિહાર અને આસામ સરકારના નોટિફિકેશનની નકલો શૅર કરી, જેમાં પ્રદર્શનકારીઓ સામે દાખલ કરાયેલી તમામ એફઆઇઆર પાછી ખેંચવાની ગૅરંટી આપવામાં આવી હતી."

"તેમાં તે પણ જણાવાયું છે કે ભવિષ્યમાં તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તે અટકાયતમાં લેવાયેલા અને ધરપકડ કરાયેલા તમામ લોકોને મુક્ત કરવાની પણ માગ કરે છે."

"તેમણે અમને ગૅરંટી આપી છે કે કેન્દ્ર સરકાર અને અન્ય ભાજપ અને એનડીએ શાસિત રાજ્યો તરફથી ગૅરંટી સૂચનાઓ આવતી કાલ સુધીમાં જાહેર કરવામાં આવશે. આશા છે કે સંમતિ મુજબની ભાષાનો ઉપયોગ કરવામાં આવશે."

"કોઈ પણ પ્રદર્શનકારીને એકલો નહીં છોડવામાં આવે. અમે બધા આ લડાઈમાં સાથે છીએ."

ટ્રમ્પનો દાવો- ઈરાન સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા, ઈરાને શું કહ્યું?

ટ્રમ્પનો દાવો- ઈરાન સાથે યુદ્ધ ટૂંક સમયમાં સમાપ્ત થવાની શક્યતા, બીબીસી

ઇમેજ સ્રોત, Reuters

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે ઈરાન સાથે ચાલી રહેલા તણાવ અંગે ખૂબ જ મૈત્રીભાવે વાતચીત ચાલી રહી છે.

સતત ત્રીજા દિવસે બંને પક્ષોએ એકબીજા પર હુમલો કર્યો નથી.

ટ્રમ્પે સોમવારે ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા કહ્યું "મને લાગે છે કે આ યુદ્ધનો અંત લાવવાની સારી તક છે."

જોકે, તેમણે ચેતવણી પણ આપી હતી કે જો આ વાટાઘાટ નિષ્ફળ જાય, તો અમેરિકા ફરીથી એ જ પગલાં શરૂ કરશે જે તે યુદ્ધવિરામ પહેલાં લઈ રહ્યું હતું.

બીજી તરફ, ઈરાને અમેરિકા સાથે કોઈ સીધી વાતચીત કરવાનો ઇનકાર કર્યો છે.

ટ્રમ્પે કહ્યું કે તેમણે શુક્રવારે ઈરાન પરના અમેરિકાના હુમલાઓ અટકાવી દીધા, કારણ કે બંને દેશો વચ્ચે મધ્યસ્થી કરનારા દેશોએ વાટાઘાટ માટે બીજી તકની વિનંતી કરી હતી.

ઈરાને પણ હાલ પૂરતા પોતાના હુમલા બંધ કરી દીધા છે.

આ વિરામ લગભગ બે અઠવાડિયાં સુધી રોજ ચાલેલા અમેરિકાના હુમલાઓ અને ઈરાનની જવાબી કાર્યવાહી પછી આવ્યો છે.

આ હુમલાઓએ જૂનમાં થયેલા યુદ્ધવિરામ કરારને લગભગ સંપૂર્ણપણે રદ કરી દીધો હતો.

તે સમયે અમેરિકાના સૈન્યે કહ્યું હતું કે તેના હુમલાઓનો હેતુ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થતાં કૉમર્શિયલ જહાજો માટે ખતરો ઊભો કરવાની ઈરાનની ક્ષમતાને નબળી પાડવાનો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન