LIVE Live, મહાનગરપાલિકાનાં પરિણામો: અત્યાર સુધીમાં કોણે કેટલી બેઠકો જીતી?
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનાં પરિણામો આજે જાહેર થશે. 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપનો દબદબો જળવાઈ રહેશે કે કૉંગ્રેસ-આપ ખેલ બગાડશે? ઉલ્લેખનીય છે કે ગત 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
સારાંશ
15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતો માટે યોજાયેલી ચૂંટણીનું આજે પરિણામ
ગુજરાતની 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલાં શહેરી મતદારો શું સંકેત આપશે?
શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો જળવાઈ રહેશે કે પછી કૉંગ્રેસ અને આપ ગાબડું પાડવામાં સફળ રહેશે?
સુરતમાં આપના પ્રદર્શન પર સૌની નજર, ભાજપ માટે ગુજરાતનો ગઢ જાળવવાનો પડકાર
લાઇવ કવરેજ
આર્જવ પારેખ
અમરેલી: ચાવંડ બેઠક પરથી માયાભાઈ આહીરના દીકરી સોનલ ડેરની હાર
ઇમેજ કૅપ્શન, માયાભાઈ આહીરનાં દીકરી સોનલબહેન ડેર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઘણી જગ્યાએ ઉલટફેર, તો ઘણી જગ્યાએ ચોંકાવનારાં
પરિણામો પણ જોવા મળી રહ્યાં છે.
લાઠીની તાલુકા પંચાયતની ચાવંડ બેઠક પરથી માયાભાઈ આહીરના દીકરી સોનલ ડેરની હાર
થઈ છે.
અમરેલીથી બીબીસી સહયોગી ફારૂક કાદરીએ તેની પુષ્ટિ કરી છે.
આ બેઠક પર કૉંગ્રેસના શાંતાબહેન ડેર વિજેતા થયાં છે.
કૉંગ્રેસના ઉમેદવાર શાંતાબહેન ડેરના દીકરાએ તેમની વતી જનતાનો આભાર માન્યો હતો.
રાજ્ય ચૂંટણીપંચના આંકડા અનુસાર, 15 મહાનગરપાલિકાઓમાં બપોરે 12 વાગ્યા સુધીમાં
ભાજપે 185, કૉંગ્રેસે સાત બેઠકો જીતી છે. જ્યારે અન્યના ફાળે ચાર બેઠકો ગઈ છે.
રાજકોટમાં આઠ બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં આઠેય બેઠકો ભાજપે જીતી છે.
અમદાવાદમાં 12 બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં બારેય બેઠકો ભાજપે જીતી
છે.
જામનગર, ભાવનગરમાં ચાર-ચાર બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે અને એ તમામ બેઠકો પણ
ભાજપે જીતી છે.
વાપીમાં 47 બેઠકોનાં પરિણામ જાહેર થયાં છે, જેમાં કૉંગ્રેસે સાત બેઠકો જીતી
છે.
રાજકોટ: જંગલેશ્વરમાં જ્યાં હજારો મકાનો પાડી દેવાયાં હતાં ત્યાં ભાજપની હાર
ઇમેજ સ્રોત, BIPIN TANKARIA/BBC
ઇમેજ કૅપ્શન, કૉંગ્રેસના વિજેતા ઉમેદવારો
રાજકોટના વૉર્ડ નં.16 જંગલેશ્વરમાં કૉંગ્રેસની પેનલની જીત થઈ છે. ગત ચૂંટણીમાં
આ વૉર્ડ ભાજપના ફાળે ગયો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે જંગલેશ્વરમાં થોડા સમય અગાઉ ડિમોલિશન થયું હતું અને
હજારો ઘર-દુકાનો પાડી દેવામાં આવ્યાં હતાં.
અહીંથી કૉંગ્રેસના ઉમેદવારો અર્જુનભાઈ ચૌહાણ, ઇબ્રાહીમભાઇ સોરા, દિપ્તીબેન
સોલંકી અને રસીલાબેન ગરૈયાની જીત થઈ છે.
વિજેતા ઉમેદવાર રસીલાબહેન ગરૈયાએ કહ્યું હતું કે, “મારો ગત ચૂંટણીમાં
માત્ર 11 મતે પરાજય થયો હતો. આ વખતે હું સારા મતે જીતી છું. અમે લોકોના કામ કરવા
માટે પૂરી મહેનત કરીશું.”
દિપ્તીબહેન સોલંકીએ કહ્યું હતું કે, “રાજકોટના વૉર્ડ
નં.16ના અઢારે વર્ણના લોકોના મતથી અમારી જીત થઈ છે. અમે લોકોનો ભરોસો નહીં તૂટવા
દઈએ. જેમનાં મકાનો પડી ગયા છે તેમને ક્વાર્ટર અપાવવા માટે અમે મહેનત કરીશું.”
બીબીસીના સહયોગી નચિકેત મહેતા અનુસાર, શાંતિપૂર્ણ
માહોલમાં મતગણતરી પૂર્ણ થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે.
તેમણે આપેલી માહિતી અનુસાર, મહાનગરપાલિકાની
52 બેઠકો પૈકી 40 બેઠકો પર 100 ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો થશે. ઉલ્લેખનીય છે
કે 13 વૉર્ડની 52 બેઠકો પૈકી 12 બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે.
તો જિલ્લા પંચાયતની 37 બેઠકો પર 98
ઉમેદવારોના ભાગ્યનો આજે ફેંસલો થશે. આણંદ તાલુકા પંચાયતની 30 બેઠકોમાં પર 64 ઉમેદવારો,
આંકલાવ તાલુકા પંચાયતની 20 બેઠકો માટે 51 ઉમેદવારો, બોરસદ તાલુકા પંચાયતની 34
બેઠકો માટે 83 ઉમેદવારો, ખંભાત તાલુકા પંચાયતની 26 બેઠકો માટે 52 ઉમેદવારો, પેટલાદ
તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 52 ઉમેદવારો, સોજિત્રા તાલુકા પંચાયતની 15 બેઠકો
માટે 32 ઉમેદવારો, તારાપુર તાલુકા પંચાયતની 14 બેઠકો માટે 35 ઉંમેદવારો અને ઉમરેઠ
તાલુકા પંચાયતની 22 બેઠકો માટે 47 ઉમેદવારોના રાજકીય ભાવીનો આજે નિર્ણય થશે.
આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ
ઇમેજ સ્રોત, Getty Images
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર
આજે ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક
સ્વરાજ્યની ચૂંટણીનું પરિણામ જાહેર થશે.
ગત 26 એપ્રિલે ગુજરાતની 15 મહાનગરપાલિકાઓ, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો
તથા 260 તાલુકા પંચાયતો માટે સામાન્ય ચૂંટણી માટે મતદાન યોજાયું હતું.
રાજ્ય ચૂંટણીપંચે જાહેર કરેલા આંકડા
અનુસાર મહાનગરપાલિકાઓમાં સરેરાશ 55.1 ટકા મતદાન નોંધાયું હતું.
કુલ 15 મહાનગરપાલિકાઓમાંથી નવ
મહાનગરપાલિકાઓ નવી બનેલી છે અને તેમાં મહાનગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા પછી પહેલી
વાર મતદાન થયું છે.
અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર- આ છ જૂની
મહાનગરપાલિકાઓમાં વર્ષોથી ભાજપનો દબદબો રહ્યો છે.
આ તમામ મહાનગરપાલિકાઓમાં ભાજપે 2021ની
ચૂંટણીમાં પણ ભવ્ય જીત મેળવી હતી.
આ વખતે આ છ મહાનગરપાલિકાઓ સિવાય નવી
અસ્તિત્વમાં આવેલી નવ મહાનગરપાલિકામાં પણ પહેલી વાર ચૂંટણી છે. આથી, આ
મહાનગરપાલિકાઓમાં શું પરિણામ આવે છે તેના પર સૌની નજર રહેશે.
અમદાવાદ, જામનગર, વડોદરા, રાજકોટ અને ભાવનગરમાં ભાજપને મોટા
માર્જિનથી જીત મળી હોવાથી એ જોવું રસપ્રદ રહેશે કે ભાજપ આટલું મોટું જીતનું અંતર
જાળવી શકે છે કે પછી વિપક્ષો ટક્કર આપશે.
ગત ચૂંટણીમાં સુરતમાં આમ આદમી પાર્ટીની
જબરદસ્ત ઍન્ટ્રી થઈ હતી અને પહેલી જ વારમાં તેણે મુખ્ય વિપક્ષી પાર્ટી તરીકે
કૉંગ્રેસની જગ્યા લઈ લીધી હતી. આમ આદમી પાર્ટીએ 27 બેઠકો જીતી હતી.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠેકઠેકાણે
સત્તાધારી પક્ષ ભાજપનો થયેલો વિરોધ ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
ભાજપના ઉમેદવારોના વિરોધના અનેક વીડિયો
સોશિયલ મીડિયા પર વાઇરલ થયા હતા.
મતદાનની તારીખ પહેલાં રાજ્યમાં આ
ચૂંટણીમાં ઘણી બેઠકો પરથી ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી લેવાના કિસ્સા
સામે આવ્યા બાદ અંતે જાણવા મળ્યું હતું કે રાજ્યમાં કુલ 733 બેઠકો બિનહરીફ જાહેર
થઈ ગઈ છે. જે પૈકી મોટા ભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીના કબજામાં છે.
એટલે કે ગુજરાતની ત્રણ નગરપાલિકા, કડી, ઊના અને ગણદેવી
ભાજપે ચૂંટણી પહેલાં જ જીતી લીધી હતી.