GT VS RR : IPLની ફાઇનલમાં પહોંચવા માટે ગુજરાત ટાઇટન્સે આ ત્રણ ભૂલો સુધારવી પડશે

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, જિગર ભટ્ટ
- પદ, બીબીસી ગુજરાતી
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 6 મિનિટ
ગુજરાત ટાઇટન્સની ટીમ IPLની ફાઇનલ રમવા માટે આજે ન્યૂ ચંદીગઢ ખાતે રાજસ્થાન રૉયલ્સ સામે રમશે. ગુજરાત ટાઇટન્સની ટીમને IPLની ફાઇનલમાં સીધો પહોંચવાનો મોકો મળ્યો હતો ત્યારે તે રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ સામે 92 રનથી હારી ગઈ હતી.
ગુજરાત ટાઇટન્સની ટીમને હવે ફાઇનલ પહોંચવા માટે બીજો મોકો મળ્યો છે. ગુજરાત ટાઇટન્સની ટીમનું પ્રદર્શન રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ સામે ખૂબ જ નબળું રહ્યું હતું.
મૅચ હાર્યા પછી ગુજરાત ટાઇટન્સના કૅપ્ટન શુભમન ગિલે ત્યાં સુધી કહ્યું હતું કે આ ભૂલી જવા જેવો દિવસ હતો અમારે નવેસરથી શરૂઆત કરવાની છે.
રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુની ટીમે પહેલી ક્વૉલિફાયર મૅચમાં પાંચ વિકેટે 20 ઓવરમાં 254 રન બનાવ્યા હતા, જેની સામે ગુજરાતની ટીમ માત્ર 162 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી.
ગુજરાતના બૉલરોએ પહેલાં નબળું પ્રદર્શન કર્યું હતું અને પછી ગુજરાતના 8 ખેલાડી 10થી વધારે રન બનાવી શક્યા ન હતા.
બીજી તરફ રાજસ્થાન રૉયલ્સ વૈભવ સૂર્યવંશીની વિસ્ફોટક બેટિંગ અને જોફ્રા આર્ચરની આક્રમક બૉલિંગની મદદથી સનરાઇઝર્સ હૈદરાબાદને હરાવીને ક્વૉલિફાયરમાં પહોંચી છે.
વૈભવ સૂર્યવંશીએ હૈદરાબાદ સામે 29 બૉલમાં 97 રન બનાવ્યા હતા, જ્યારે જોફ્રા આર્ચરે પાવરપ્લેમાં ત્રણ વિકેટ લઈને હૈદરાબાદને હાર તરફ ધકેલી દીધું હતું.
રાજસ્થાન છેલ્લી ત્રણ મૅચ જીત્યું છે ત્યારે તે ખૂબ આત્મવિશ્વાસમાં છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આવામાં ગુજરાત ટાઇટન્સની ટીમે ગત મૅચમાં જે પ્રકારની ભૂલો કરી છે તેને ધ્યાનમાં રાખીને તેમણે આ મૅચમાં આ ભૂલોને સુધારવી પડશે.

ગુજરાત ટાઇટન્સની ટીમે ફિલ્ડિંગનું સ્તર સુધારવું પડશે

ઇમેજ સ્રોત, ani
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ સામેની મોટી મૅચમાં ગુજરાત ટાઇટન્સના ખેલાડીઓએ બે વખત રજત પાટીદારના કૅચ છોડ્યા હતા. રજત પાટીદારે આ મૅચમાં કુલ 33 બૉલમાં 281ના સ્ટ્રાઇક રેટથી 93 રન બનાવ્યા હતા.
રજત પાટીદારના 14મી ઓવરમાં બે વખત કૅચ ડ્રૉપ થયા હતા. રજત પાટીદાર જ્યારે 10 બૉલમાં 14 રન પર હતા ત્યારે વિકેટકીપર જોસ બટલર અને થર્ડ મૅન પર ઊભેલા કુલવંત ખેજરોલિયા દોડીને પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કૅચ થઈ શક્યો ન હતો.
આ જ ઓવરના ત્રીજા બૉલે રજત પાટીદારે પુલ શૉટ ફટકાર્યો, પરંતુ કાગિસો રબાડાએ કૅચ છોડી દીધો. રજત પાટીદાર ત્યારે 20 રને હતા.
શુભમન ગિલે બૅંગલુરુ સામેની મૅચ પૂર્ણ થયા પછી કહ્યું, 'મને નથી લાગતું કે અમારી ફિલ્ડિંગ સ્તર મુજબની હતી, કૅચ છોડવા અને અમારી ગ્રાઉન્ડ ફિલ્ડિંગ પણ યોગ્ય ન હતી.'
કોલકાતા નાઇટ રાઇડર્સ સામેની લીગ મૅચમાં પણ ગુજરાત ટાઇટન્સના ખેલાડીએ ફિન એલનના બે કૅચ છોડ્યા હતા અને આ ખેલાડી કુલ 93 રન બનાવીને આઉટ થયા હતા.
ત્યારે પણ શુભમન ગિલે કહ્યું હતું, 'આ પ્રકારની મૅચમાં ત્રણ કૅચ છોડવા, મને નથી લાગતું કે અમે જીતને લાયક હતા.'
એટલે કે ગુજરાત ટાઇટન્સે પોતાની ફિલ્ડિંગની નબળાઈને દૂર કરવી પડશે.

મિડલ ઑર્ડર મજબૂત કરવો પડશે

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાત ટાઇટન્સ IPL 2026માં જેટલી પણ મૅચ રમ્યું છે તેમાં ટોચના ત્રણ બૅટ્સમૅનોનું મોટું યોગદાન રહ્યું છે.
સાઈ સુદર્શને 15 મૅચમાં 155.89ના સ્ટ્રાઇક રેટથી 652 રન બનાવ્યા છે, જ્યારે શુભમન ગિલે 14 મૅચમાં 147ના સ્ટ્રાઇક રેટથી 618 રન બનાવ્યા છે.
જોસ બટલરે 15 મૅચમાં 159ના સ્ટ્રાઇક રેટથી 498 રન બનાવ્યા છે. ગિલ અને સાઈ સુદર્શન ઑરેન્જ કૅપની રેસમાં છે.
મિડલ ઑર્ડરમાં આવતા વૉશિંગ્ટન સુંદર સિવાયના કોઈ ખેલાડીએ વધારે રન બનાવ્યા નથી. વૉશિંગ્ટન સુંદરે 15 મૅચમાં 311 રન બનાવ્યા છે. જ્યારે રાહુલ તેવટિયાએ 14 મૅચમાં 166 રન બનાવ્યા છે.
ગ્લેન ફિલિપ્સે 6 મૅચ રમ્યા છે અને 67 રન બનાવ્યા છે. જેસન હૉલ્ડર બૉલિંગ ઑલરાઉન્ડર તરીકે રમ્યા છે પરંતુ તેઓ 9 મૅચમાં 58 રન બનાવી શક્યા છે. નિશાંત સિંધુ જે 6 મૅચમાં 43 રન બનાવી શક્યા છે.
ગુજરાત ટાઇટન્સના ત્રણ ટોચના ખેલાડીઓ આઉટ થાય છે પછી ટીમ પરેશાનીમાં મુકાઈ જાય છે આવું ન થાય તેનું ધ્યાન રાખવું પડશે.
રાહુલ તેવટિયાએ બૅંગલુરુ સામેની મૅચમાં 43 બૉલમાં 68 રનની ઇનિંગ રમી હતી તે ગુજરાત ટાઇટન્સની ટીમને રાહત આપી શકે તેવી વાત છે.

પહેલા બેટિંગ કરવી કે બૉલિંગ કરવી? – નિર્ણય ધ્યાનથી લેવો પડશે

ઇમેજ સ્રોત, ani
ગુજરાત ટાઇટન્સની ટીમની સ્ટ્રૅટેજી રહી છે કે પહેલા બેટિંગ કરો, ઊંચો સ્કૉર બનાવો અને ટાર્ગેટને ડિફેન્ડ કરો.
ગત મૅચમાં ધર્મશાળાની પીચની સ્થિતિના આધારે અને જૂની મૅચના પ્રદર્શનને આધારે ગુજરાત ટાઇટન્સની ટીમે ટૉસ જીત્યા પછી બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શુભમન ગિલે કારણ આપ્યું હતું કે જે પ્રકારે રાતે અહીં ડ્યૂ પડે છે તે પ્રકારે અહીં રન ચેઝ કરવા યોગ્ય રહેશે.
મૅચમાં પહેલી ઇનિંગમાં બૅંગલુરુના ખેલાડીઓએ 254 રન બનાવી દીધા હતા. ગુજરાત ટાઇટન્સની ટીમ માટે આ સ્કોરને ચેઝ કરવો પહાડ સમાન હતો.
ગુજરાત ટાઇટન્સના બૉલરો નિષ્ફળ જતા તેમને આકરી કિંમત ચૂકવવી પડી હતી.
રાજસ્થાન રૉયલ્સની ટીમનું મજબૂત પાસું છે તેમના ટોચના ત્રણ ખેલાડીઓ.
જે ખૂબ જ સારા ફૉર્મમાંથી પસાર થઈ રહ્યા છે. વૈભવ સૂર્યવંશીએ હૈદરાબાદ સામેની મૅચમાં 29 બૉલમાં 97 રન બનાવ્યા, યશસ્વી જયસ્વાલ પોતાના બૅટથી કંઈ ખાસ કરી શક્યા ન હતા, પરંતુ જ્યારે વૈભવ આક્રમક બેટિંગ કરી રહ્યા હતા ત્યારે બીજો છેડો તેમણે સંભાળી રાખ્યો હતો.
ધ્રુવ જુરેલ કે જેમણે 21 બૉલમાં 50 બનાવ્યા હતા, તેમણે મૅચની મૉમેન્ટમને જાળવી રાખવાનું કામ કર્યું હતું.
આમ, ગુજરાત જો પહેલી બૉલિંગ કરતું હશે તો તેમણે આ ખેલાડીઓની વહેલી વિકેટ લેવી પડશે.
ગુજરાત માટે મહત્ત્વની વાત એ છે કે પાવરપ્લેમાં રબાડાએ IPL 2026માં સૌથી વધારે 18 વિકેટ લીધી છે, જ્યારે સિરાજે માત્ર 7.8ની ઇકૉનૉમીથી રન આપ્યા છે.
આમ, આ બંને ખેલાડીઓ આજની મૅચમાં કમાલ કરે તો ગુજરાત જીતની નજીક પહોંચશે.
ગુજરાતે ચંદીગઢના મેદાનના ઇતિહાસ અને ત્યાંના રેકૉર્ડને ધ્યાનમાં રાખીને ટૉસનો નિર્ણય લેવો પડશે.
ટીમની પસંદગીમાં ધ્યાન રાખવું પડશે
ગુજરાત ટાઇટન્સની ટીમે સેમિફાઇનલ જેવી મૅચમાં કુલવંત ખેજરોલિયાને પહેલી મૅચ રમવાની તક આપી હતી. ખેજરોલિયાએ 2 ઓવર નાખીને 31 રન આપ્યા હતા.
ખેજરોલિયાએ ઇનિંગની 12મી ઓવરમાં 3 રન આપ્યા હતા. જ્યારે 14મી ઓવરમાં 28 રન આપ્યા હતા. ખેજરોલિયાની આ ઓવરના કારણે બૅંગલુરુ ગુજરાત પર હાવી થઈ ગયું હતું.
ગુજરાત ટાઇટન્સે અનુભવી અર્શદ ખાનને બહાર બેસાડીને ખેજરોલિયાને રમાડ્યા હતા, જે તેમને દિવસના અંતે ભારે પડ્યું હતું. આ પ્રકારના નિર્ણય કરતાં પહેલાં ગુજરાત ટાઇટન્સે વિચારવું પડશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















